
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં આગની ઘટના બની હતી. રાધે બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગતા રત્નકલાકારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
રત્ન કલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો
સવારના સમયે આગ લાગતા રત્નકલાકારોમા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર આગ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા બે ફાયર સ્ટેશનની પાંચ ગાડીઓએ હાઇડ્રોલિક સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં સોફા, કોમ્પ્યુટર, વાયરીંગ સહિતનો સામાન મળીને ખાક થયો હતો. કોઈ ઇજા જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી.
1 કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો
ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા જીએમ ડાયમંડ પાર્કમાં સવજી ધોળકિયાની હરેકૃષ્ણ એક્સપોર્ટ નામને હીરાની કંપની આવેલી છે. જેમાં રાધે નામના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળ આવેલા છે. રાધે નામના બિલ્ડીંગના ત્રીજા માળે આગ ભભૂકી ઊઠી હતી. સવારના 8.37 ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો.
હાઇડ્રોલિકનો ઉપયોગ કરાયો
ત્રીજા માળે લાગેલી આગની જ્વાળાઓ બારીમાંથી બહાર દેખાતી હતી. જેથી ફાયર બ્રિગેડના અડાજણ અને પાલનપુર સ્ટેશનની પાંચ ગાડીઓ હાઇડ્રોલિક સાથે પહોંચી ગઈ હતી. ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગ એટલી પ્રચંડ હતી કે, ત્રીજા માળના ફર્નિચર, સોફાસેટ, કોમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.
રત્નકલાકારો નીચે ઉતરી જતાં જાનહાની નહીં
વધુમાં જણાવ્યું હતું કે, આગ સવારના સમયે લાગી હોવાથી રત્નકલાકારો ઓફિસમાં હાજર હતા. જેઓને આગની જાણ થતાં નીચે આવી ગયા હતા. સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઇજા જાનહાનિ થઈ નથી. હાલ તો આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અવું છે.