હાલમાં RBI દ્વારા “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો આપવામાં આવ્યો એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંકની 31મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તા. 18/07/2026 શનિવારના રોજ બેંકના સહકાર ભવન, વ્રજચોક, સરથાણા વિસ્તાર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહના અધ્યક્ષ સ્થાને સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી માયાબેન માવાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન પદે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખશ્રી અશોકભાઇ ચોડવડિયા (જીરાવાળા), KP ગ્રુપના ફાઉન્ડર શ્રી ફારુકભાઈ પટેલ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અને ગ્રીન લેબના ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રૂા.4,411 કરોડ થાપણ અને રૂા.2571 કરોડથી વધુ ધિરાણ સાથે નક્કર પ્રગતિ કરનાર વરાછા કો-ઓપ. બેંક દ્વારા દર વર્ષની જેમ સામાજિક ઉત્થાન માટે અનોખી પહલ સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિસ્વાર્થ ભાવે માનવતા ભરી ઉમદા સેવા કરતા અસાધારણ વ્યક્તિઓ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે અકસ્માતે અવસાન પામનાર ખાતેદારોના વારસદારોને કુલ રૂા.46 લાખની વીમા રકમના ચેક મહેમાનશ્રીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
સમારોહના અધ્યક્ષશ્રી માયાબેન માવાણી દ્વારા બેંકને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સહકારી બેંકોમાં શિડયુલ્ડ બેંકનો દરજ્જો ધરાવતી અને સહકારની ભાવનાથી કાર્ય કરતી વરાછા કો-ઓપ. બેંક સમાજના દરેક વર્ગને બેન્કિંગ સેવા પૂરી પાડવા અને સામાજિક ઉત્થાનના ધ્યેય સાથે કાર્ય કરતી સુરતની ખ્યાતનામ બેંક છે, જે ગૌરવવંતી બાબત છે. હાલમાં સુરત શહેર વરસાદી પૂર જેવી હોનારત માંથી પસાર થયું ત્યારે પૂર થી અસરગ્રસ્ત લોકો ના વહારે આવી રૂ|.5 લાખ માત્ર 09% નાં વ્યાજદરે ફ્લડ લોન જેવી સહાય આપી મધ્યમ વર્ગના લોકોને આર્થિક ટેકો આપી સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વરાછા કો-ઓપ. બેંક હજુ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
માયાબેન માવાણી તેમજ અન્ય મહેમાનોનું અભિવાદન
સુરત શહેરના પ્રથમ નાગરિક અને મેયરશ્રી માયાબેન માવાણીના નેતૃત્વ હેઠળ સુરત શહેરના વિકાસ ને નવી દિશા મળી રહી છે. તેમની માટે વિશેષ ગૌરવની લાગણી સાથે વરાછા કો-ઓપ. બેંક તરફથી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખ તરીકે પસંદગી પામ્યા તે બદલ શ્રી અશોકભાઈ ચોડવડીયા (જીરાવાળા) તેમજ સોલર રીન્યુએબલ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા બદલ KP ગ્રુપના ફાઉન્ડર શ્રી ફારુકભાઈ પટેલ અને અગ્રણી ઉદ્યોગપતિ ગ્રીન લેબના ચેરમેનશ્રી મુકેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન
સુરત શહેરના યુવા સાહસિક શ્રી તુષારભાઈ મેંદપરા દ્વારા UPSC પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્ય સરકારમાં IAS ઓફિસર તરીકે નિમણૂક પામ્યા તે બદલ બેંક દ્વારા વિશેષ સિદ્ધિ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ભાવનગર જીલ્લાના ટીંબી ખાતે કાર્યરત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ લોકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા આપતી સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી હિરાભાઈ પાચાભાઈ ગાંગાણીનું માનવતા ભરી લાગણી માટે બેંક તરફથી જાહેર સન્માન કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
અકસ્માત વીમા પોલિસી અંતર્ગત રૂા.46 લાખ વીમા રકમના ચેક અર્પણ
વરાછા કો-ઓપ. બેંક દ્વારા સભાસદ તેમજ તમામ ખાતેદારોને પણ અકસ્માત વીમા હેઠળ આવરી લીધા છે જેનું સમગ્ર પ્રીમિયમ બેંક દ્વારા ચૂકવવામાં આવે છે તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી જન જન સુધી આ સેવા પહોંચતી કરી છે અને નિરાધાર પરિવારને મદદરૂપ થયા છે. ત્યારે બેંકની વિવિધ પોલીસીના લાભો અંતર્ગત ખાતેદાર સ્વ. કમલેશભાઈ રાઘવભાઈ ગોંડલિયાનું અવસાન થતાં તેમના વારસદાર શ્રીમતી વસંતબેન કમલેશભાઈ ગોંડલિયા ને રૂા.18 લાખ તેમજ બીજા ખાતેદાર સ્વ. કાંતિભાઈ ગોરધનભાઈ ગેવરીયાનું અવસાન થતા તેના વારસદાર શ્રીમતી લીલાબેન કાંતિભાઈ ગેવરીયાને વિવિધ વીમા હેઠળ રૂા.17 લાખ અને એવા જ ત્રીજા ખાતેદાર સ્વ. હાર્દિકભાઈ સવજીભાઈ પટેલ આકસ્મિક અવસાન થતા વીમા કવચ હેઠળ તેમના વારસદાર શ્રી સવજીભાઈ ટપુભાઈ વઘાસિયાને કુલ રૂા.11 લાખની વીમા રકમ એમ ત્રણેય ખાતેદારોને કુલ રૂા.46 લાખની વીમા રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
વીમા જાગૃતિ માટેની બેંકની કામગીરી પ્રશંસનીય છે. વિમા વિભાગ દ્વારા વારસદારને વીમા ક્લેમ ની રકમ ખૂબ ઝડપથી ચૂકવવા સકારાત્મક અભિગમ દાખવવામાં આવે છે. બેંક દ્વારા રૂા.1280 પર્સનલ અકસ્માત પોલીસી અંતર્ગત 684 ખાતેદારોને અકસ્માતે થયેલ મેડિકલ ખર્ચ અને સારવાર હેઠળ ગુમાવેલ મહેનતાણાના ભાગરૂપે રૂા.3.38 કરોડની વીમા રકમ ચૂકવેલ છે એટલું જ નહીં આ પોલીસી અંતર્ગત અકસ્માતમાં અવસાન થતા કુલ 11 ખાતેદારોને રૂા.15 લાખ લેખે કુલ રૂા.1.65 કરોડની વીમા રકમ આપવામાં આવી છે.
સાધારણ સભામાં બેંકના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા દ્વારા સ્વાગત પ્રવચનમાં તમામ મહેમાનશ્રીઓનો પરિચય આપી શબ્દોથી આવકાર્યા હતા. સાથે પારસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, બેંકને શિડયુલ્ડ બેંક નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા ગ્રાહકો ને તમામ બેન્કિંગ સેવા અદ્યતન ટેકનોલોજી સાથે ખૂબ ઝડપથી પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. બેંક હર હંમેશ લોકો માટે કાર્ય કરતી રહી છે અને પૂર જેવી પરિસ્થિતિમાં પણ લોકો ને આર્થિક સહાય આપવાના ભાગ રૂપે નાયબ મુખ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ફ્લડ લોન જેવી સુવિધા અમલમાં મૂકી સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવી છે. મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડીયા અને અન્ય સભ્યશ્રીઓ બેંકની પ્રગતિ ને વધુ વેગ આપી લોકો માટે અને લોકો સાથે જેવી ઉમદા ભાવના સાથે ટૂંક સમયમાં રૂ|.10,000 કરોડ થી વધુના બિઝનેસનો લક્ષ્યાંક હાંસિલ કરવા માટે કટિબદ્ધ છે. હાલના સમયમાં સાયબર સિક્યુરિટી ખૂબ મોટો પડકાર છે. ત્યારે બેંક ની IT ટીમ 24*7 કાર્યરત રહી ખાતેદારોને ક્વિક રિસ્પોન્સ માળખા હેઠળ સાયબર સુરક્ષા આપી રહી છે. બેંક સતત સ્થાપના દિન થી આજદિન સુધી NET NPA શૂન્ય પર જાળવી રાખ્યો છે જે બેંકની નાણાંકીય સ્થિરતાનું પ્રતિબિંબ છે. જે અત્યંત ગૌરવવંતી બાબત છે.
વધુમાં બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડીયા એ જણાવ્યું હતું કે, બેંકની અવિરત વિકાસયાત્રામાં બેંકના તમામ સભાસદમિત્રો, ખાતેદારમિત્રો અને કર્મચારીઓનું મહત્વનું યોગદાન છે. બેંકે પારદર્શિતા, વિશ્વસનીયતા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓના આધારે ગુજરાતની અગ્રણી સહકારી બેંકોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આ પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવવાનો અમારો સંકલ્પ રહેશે. વધુમાં જણાવ્યું હતું કે, બેંકને વધુ આધુનિક, વધુ મજબૂત, વધુ વિશ્વસનીય અને ગ્રાહકોની પ્રથમ પસંદગી બને તેવી સંસ્થા તરીકે આગળ લઈ જવાનો અમારો સ્પષ્ટ રોડમેપ રહેશે.
આજના પ્રસંગે બેંકના સ્થાપકશ્રી પી. બી. ઢાકેચા અને વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ અહેવાલ રજૂ કરી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી કરી હતી અને સભાસદો દ્વારા સર્વાનુમતે 12% ડિવિડન્ડ મંજુર થતા જ ચાલુ કાર્યક્રમમાં ટેકનોલોજી થકી સભાસદના ખાતામાં ડિવિડન્ડ એક જ ક્લિકમાં જમા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બેંકના AGM શ્રી શૈલેષભાઈ ભૂત દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, સભાસદો, ખાતેદારો અને બેંકના હોદ્દેદારશ્રીઓનો આભાર માની આભારવિધિ કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડિયા અને કર્મચારીશ્રી ચિરાગભાઈ વાડદોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
