
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રિથી વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે આવેલા કોઝવે પરથી માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં, જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.ઘટનામાં માતાનો બચાવ થયો હતો. પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા તણાયું હતું, એમાં ત્રણેય લોકો તણાયાં હતાં. જોકે માતા મીનાબેનનો બચાવ થયો છે, જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.
કલાકોની જહેમત બાદ બાળકોના મૃતદેહો મળ્યા હતા. આ ઘટનાને લઈ તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડને જાણ કરાતાં તેણે ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી. એમાંથી બંને તણાયેલાં બાળકોની લાશ કલાકોની જહેમત બાદ મળી હતી.
અન્ય એક બનાવમાં પાલિતાણા તાલુકાના આંકોલાળી પાસે કોઝવે પરથી પસાર થતા સમયે એક યુવકનું તણાઈ જવાને કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે. તણાઈ રહેલા યુવકનો વીડિયો સ્થાનિક લોકોએ ઉતારી લેતાં હાલ એ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આંકોલાળી ગામમાં જ રહેતા ભરતગિરિ ભીમગિરિ ગોસ્વામી નામના 38 વર્ષીય યુવકે પગપાળા કોઝવે પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરતગિરિ કોઝવેની વચ્ચોવચ પહોંચતાં જ બેલેન્સ ગુમાવ્યું હતું અને પડી જતાં વહેતા પાણીની સાથે તણાઈ ગયો હતો. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ભરતગિરિની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ તેનો મૃતદેહ મળ્યો હતો.