
અત્યાર સુધી રાજ્યમાં 30 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ઘણા વર્ષો બાદ ગુજરાતમાં વરસાદ ઓછો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતાં પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખું વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પીવાના પાણી માટે હાલ પૂરતાં પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે.
તેમણે જણાવ્યું કે, સરદાર સરોવર યોજના દ્વારા રાજ્યના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે અને લાખો ખેડૂતોને સિચાઈ માટે તથા લાખો પશુઓને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે, પરંતુ મધ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં પણ ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે તેમ છતાંય પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલું પાણી સિચાઈ માટે કેનાલો મારફત આપવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે જે ખેડૂતો કૂવા કે ટ્યુબવેલ દ્વારા પાણી મેળવી રહ્યા છે એમને આઠ કલાકના બદલે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય રાજય સરકારે અગાઉથી કર્યો છે જેના પરિણામે રોજના એક કરોડ વધારાના વીજ યુનિટ ખેડૂતો આજે વાપરી રહ્યા છે. આ વધારાના વીજ યુનિટ માટેના ખર્ચની સબસીડી ખેડૂતો વતી રાજય સરકાર ચૂકવશે તેમ તેમણે જણાવ્યું છે