
સુરતમાં ભારતના સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહીત બંને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. સુરત શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સૌથી નાની ઉંમરના એટલે કે 14 વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. તદઉપરાંત ફીસ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌ પ્રથમ ઘટના છે.
કતારગામમાં આવેલી રામપાર્ક સોસાયટીમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને ગત 27 ઓક્ટોબરના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. ત્યારબાદ 29 ઓક્ટોબરના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
ધાર્મિકના માતા-પિતા લલીતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલીસીસ કરાવવું પડતું હતું. ડાયાલીસીસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જ્યારે અમારો ધાર્મિક બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળે.
પરિવારજનો તરફથી લિવર, હૃદય, ફેફસાં અને આંતરડાના દાનની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવતા જણાવ્યું હતું કે દેશમાં ઘણા બધા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે અને તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજુરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે. ત્યારે પરિવારજનોએ એકી અવાજે પોતાના હૃદય ઉપર પથ્થર મુકીને દિલના ટુકડા એવા પોતાના વ્હાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજુરી આપી જણાવ્યું કે શરીર બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે અમારા બાળકના જેટલા પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરો.
હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. લિવર સમયસર અમદાવાદ પહોચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.