
પાલિકાના કતારગામ ઝોનના નવા વિસ્તારોમાં બુધવારે પાણી પુરવઠો મળી શકશે નહીં. વિજ કંપનીએ મેઇન્ટેનન્શ કામગીરી હાથ ધરી હોવાથી પાણી પુરવઠા પર એક દિવસ માટે બ્રેક લાગશે. કામગીરી પૂર્ણ થયા બાદ પુરવઠો ફરી શરૂ કરાશે.
હાઇડ્રોલિક વિભાગના કાર્યપાલક ઇજનેર મિનેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યુ નોર્થ ઝોનના મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી, વરિયાવ વિસ્તારોમાં બુધવારે વિજ કંપની સબસ્ટેશનના મેન્ટેનન્સની કામગીરી માટે સવારે 9થી સાંજે 5 કલાક સુધી પાવર સપ્લાય બંધ રાખશે. જેથી નવા કોસાડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રો–વોટર લાઈનના જોડાણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, આ કામગીરી પૂર્ણ થયા બાદ ન્યુ નોર્થ ઝોન વિસ્તારો (મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી, વરીયાવ) ખાતે પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે અને તા.21 ઓક્ટોબરના રોજ પાણી પુરવઠો અંશતઃ અને ઓછા પ્રેશરથી મળવાની શકયતા રહેલી છે.
5 લાખથી વધુ રહેવાસીઓને સીધી અસર
નવા કતારગામ વિસ્તારમાં બુધવારે પાણી સપ્લાય ઠપ્પ થઈ જશે તેમજ ગુરૂવારે પણ પૂરવઠો અવરોધાશે. આ પરિસ્થિતિમાં મોટા વરાછા, ઉત્રાણ, કોસાડ, છાપરાભાઠા, અમરોલી, વરીયાવ સહિતના વિસ્તારોની 5 લાખથી વધુની વસ્તીને સીધી અસર થશે. ગરમીમાં પાણીનો વપરાશ પણ વધ્યો છે ત્યારે પાણી સપ્લાય ઠપ થતાં લોકોની મુસ્કેલીમાં વદારો થશે.