
મહારાષ્ટ્રના રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદેના જૂથની 2 અલગ અલગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ છે. એક અરજી એકનાથ શિંદેએ દાખલ કરી છે જ્યારે બીજી અરજી બળવાખોર ધારાસભ્ય ભરત ગોગાવલે તરફથી કરવામાં આવી છે. બંને અરજીઓમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ નોટિસને પડકારવામાં આવી છે જેમાં 16 બળવાખોરોની સદસ્યતા સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યારે શિંદેને નેતા પદેથી દૂર કરવા તથા અજય ચૌધરીને ચીફ વ્હિપ નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે.
ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી પરત આવ્યા છે. આ કારણે તેમની કાર્યવાહી પર પણ સૌની નજર છે. કોશ્યારીએ કેન્દ્રીય ગૃહ સચિવને પત્ર લખીને બળવાખોર ધારાસભ્યોના પરિવારોને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.
39 ધારાસભ્યોની આઝાદીની રક્ષા માટે સરકાર પૂરતા પગલાં લેઃ SC
ટીમ શિંદેને સુપ્રીમ કોર્ટમાંથી હાલ પૂરતી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તથા તમામ 39 ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની રક્ષા માટે પૂરતા પગલાં લે. તેમની સંપત્તિને કોઈ નુકસાન ન પહોંચે.