
પ્રમોદ મુથાલિકે જાહેરાત કરી હતી કે તેઓ કરકલાથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડશે
મુથાલિકે ભાજપના નેતાઓને પડકાર્યા, કહ્યું – પીએમ મોદીના ફોટા કે નામનો ઉપયોગ ન કરી ચૂંટણી જીતી બતાવો
કર્ણાટકમાં શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે વડાપ્રધાન મોદીના નામ પર વોટ માંગવા બદલ ભાજપના નેતાઓ સામે આકરા પ્રહારો કરતાં વિવાદિત નિવેદન આપ્યું હતું. કારવારમાં તેમણે કહ્યું કે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેશે તો ભાજપના નેતાઓને ચપ્પલથી ફટકારવામાં આવશે. મુથાલિકે 23 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ કરકલાથી અપક્ષ ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડશે.
મુથાલિક વિફર્યા- ફેંક્યો પડકાર
એક અહેવાલ અનુસાર શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે કહ્યું કે તે લાયક જ નથી. આ નકામા લોકો પીએમ મોદીનું નામ લે છે, પરંતુ તેઓ તેમના કાર્યકર્તાઓની સમસ્યાઓને સમજી શકતા જ નથી. હિંદુ સેનાના વડાએ કથિત રીતે ભાજપના નેતાઓને મોદીના નામ અને ફોટાનો ઉપયોગ કર્યા વિના મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવા ચેલેન્જ કર્યા હતા.
ભાજપના નેતાઓને કહ્યું – આ કરી બતાવો
તેમણે કહ્યું આ વખતે મોદીનું નામ લીધા વગર વોટ માંગો. પેમ્ફલેટ અને બેનરો પર મોદીની તસવીર ન હોવી જોઈએ. મતદારો કહે છે કે તમે ગાયોને બચાવી છે, તમે હિન્દુત્વ માટે કામ કર્યું છે. તો ગર્વ સાથે કહો તમે ઘણું કામ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આવું નહીં કરે, તે ફરીથી તમારા ઘરઆંગણે આવશે અને કહેશે કે આપને વિનંતી છે કે ‘કૃપા કરીને પીએમ મોદીને તમારો મત આપો, કૃપા કરીને તમારો મત પીએમ મોદીને જ આપો. જો તેઓ મોદીના નામે વોટ માગે તો ચપ્પલ વડે માર મારો.
કથિત બેનામી જમીન વ્યવહારોનો મામલો ઊઠાવ્યો
બીજી બાજુ મુથાલિકે કર્ણાટકના કરકલા વિધાનસભા મતવિસ્તારના હેબરી તાલુકાના શિવપુરા ગામમાં કથિત ‘બેનામી’ જમીન વ્યવહારોની વ્યાપક તપાસની માંગણી સાથે લોકાયુક્ત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ, મુથાલિકે દાવો કર્યો હતો કે તેમને ભાજપના કેટલાક નેતાઓનું સમર્થન છે, જેમણે ચૂંટણી લડવા માટે નાણાકીય મદદની ઓફર કરી હતી. તેમણે ચૂંટણી લડવાના નિર્ણયથી પીછેહઠ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.