
મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર પાસે ઘટના બની
પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમા 7 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે વાહનોને ટક્કર મારી અને બાદમાં એક હોટલમાં ઘુસી જતા ભયકંર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 28 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ધુલે જિલ્લામાં મુંબઈ-આગ્રા હાઈવે પર મુંબઈથી 300 કિલોમીટર દૂર પલાસનર ગામ પાસે બની હતી.
કન્ટેનરમાં બ્રેક ફેલ થતા અકસ્માતની ઘટના બની
મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર પાસે ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. ટ્રકે પહેલા બે વાહનોને જોરદાર ટક્કર મારી અને બાદમાં બસ સ્ટોપ પાસેની હોટલમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં બસની રાહ જોઈ રહેલા કેટલાક મુસાફરોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. અકસ્માત એટલો ભયકંર હતો કે મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માતના સ્થળે આસપાસના ગામના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. મુંબઈ-આગ્રા હાઈવે પર આવેલું પલાસનેર ગામ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના શિરપુર તાલુકામાં આવેલું છે. આ વિસ્તાર મધ્યપ્રદેશને અડીને આવેલો છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પલાસનેર પાસે આ માર્ગ ભયકંર અકસ્માત થયો હતો.