
રાજ્યભરમાં ST નિગમના કામદારો દ્વારા સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે. નિગમના કર્મચારીઓને સાતમાં પગારના પંચના લાભની સાથે પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી આંદોલન કરવાની ફરજ પડી છે. સુરતમાં લંબે હનુમાન રોડ પર સિટી ડેપો પર નિગમના કામદારોએ એકઠા થઈને કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરવાની સાથે સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ આગામી દિવસોમાં આંદોલનને તેજ બનાવીને સમગ્ર રાજ્યમાં બસોના પૈડા થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
એસ ટી કામદારોને સાતમા પગાર પંચનો લાભ ન આપવાની સાથે સાથે ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા, બોનસ સહિતના મુદ્દે તથા ઓવરટાઈમના પણ પ્રશ્નો સતાવી રહ્યા હોવાનું કર્મચારીઓને સહન કરવું પડતું હોવાથી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ વિવિધ માગોને તેજ કરતાં સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી. સાથે જ કહ્યું કે, મોંઘવારી ભથ્થા જાહેર કરવામાં આવ્યાં તેમાં પણ એસટી નિગમના કર્મચારીઓને બાકાત રાખવામાં આવ્યાં છે.
એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ અનિલકુમાર નિષાદએ જણાવ્યું હતું કે, અમારી માગો ઘણી વાજબી અને યોગ્ય છે. પરંતુ સરકાર પ્રાઈવેટને પ્રોત્સાહન આપતી હોવાથી અમારા તરફ ધ્યાન આપતી નથી. લોકોએ પણ અમને સાથ આપીને સરકારની આંખો ખોલવામાં મદદ કરવી જોઈએ. અમે આગામી 24મી સુધી કાળી પટ્ટી ધારણ કરીને કામ કરીશું. બાદમાં સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપીશું અને તેમ છતાં સરકાર નહીં જાગે તો અમારે નાછૂટકે 7 ઓક્ટોબરથી સામૂહિક હડતાળ પર ઉતરીને બસના પૈડા થંભાવી દેવાની ફરજ પડશે