
સુરત કોર્પોરેશન દ્વારા શહેરીજનો કોરોના વેક્સિનનો બીજો ડોઝ ઝડપથી લઈ લે તેવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આજે સવારથી જ કોર્પોરેશનની મુખ્ય કચેરીની બહાર કચેરીમાં પ્રવેશનાર તમામે બીજો ડોઝ લીધો છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. બે ડોઝ લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા બાદ તેમણે અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. આ સાથે બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય સહિતના સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં 2 ડોઝ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
આજથી શહેરના બાગ-બગીચા, પ્રાણીસંગ્રહાલય, એક્વેરિયમ તમામ ઝોન ઓફિસ વગેરે સ્થળો ઉપર પ્રવેશવા પહેલાં જ પ્રવેશદ્વાર પાસેથી વેક્સિનેશનને લઈને માહિતી માગવામાં આવી રહી છે. બીઆરટીએસ અને સિટી બસમાં પણ મુસાફરો પાસેથી બંને ડોઝ લીધાના પુરાવા માંગવામાં આવ્યા હતા. કોર્પોરેશન ખૂબ જ સહકારપૂર્વક આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને પૂછપરછ કર્યા બાદ જ પ્રવેશ આપે છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે શહેરમાં પ્રથમ ડોઝના 100% વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. સમગ્ર શહેરમાં 6 લાખ જેટલા લોકો હજી બીજો ડોઝ લીધા નથી. દિવાળી વેકેશનમાં ઘણા લોકો દેશના અન્ય રાજ્યમાં ફરીને પરત આવ્યા છે જેને કારણે કોરોના સંક્રમણ વધી શકે તેવી શક્યતાને નકારી શકાય એમ નથી. તેથી અમે દરેક સોસાયટીઓમાં અને મહોલ્લાઓમાં જઈને વેક્સિનનો બીજો ડોઝ આપવાનું શરૂ કર્યું છે.