
ગાંધીનગરમાં પતિથી રિસાઈને પિયર ગયેલી પત્નીનો દાવ થઇ ગયો છે. પત્ની પિયર ગયાના એક મહિના સુધી પતિએ ભાળ ન લેતાં પત્ની સાસરે પાછી આવીને દરવાજો ખખડાવ્યો તો પતિની બીજી પત્નીએ દરવાજો ખોલી સ્વાગત કરતાં પત્નીની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, ગાંધીનગરમાં ચાર સંતાન સાથે એક દંપતી સુખમય જીવનમાં બીજી સ્ત્રીની એન્ટ્રી થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગાંધીનગરમાં રહેતી મોહિની (નામ બદલ્યું છે)ના લગ્ન મોહન (નામ બદલ્યું છે) સાથે થયા હતા. આ લગ્નજીવનથી મોહિનીએ ચાર સંતાનને જન્મ આપ્યો હતો. દંપતી ચાર સંતાનોના લાલનપાલનમાં વ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે સમય જતાં મોહનના સ્વભાવમાં ઓચિંતો ફેરફાર થવા લાગ્યો હતો.
મોહન ધીમે ધીમે મોહિની અને ઘરમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો, એટલે મોહનને એમ હતું કે મોહન કામધંધા અર્થે વ્યસ્ત હોવાથી સ્વભાવ બદલાયો હશે. જોકે સમય જતાં મોહને મોહિની સાથે વાતચીત કરવાનું પણ ઓછું કરી દીધું અને સતત ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો.
મોડી રાત સુધી મોહન ચોરીછૂપીથી ફોન પર વાતો કરતો રહેતો હતો, જેને કારણે મોહિનીને શંકા ઊપજી હતી, જેથી તેણે મોહનની દરેક હિલચાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે મોહન પણ વિશેષ તકેદારી રાખી ફોન રીઢો મૂકતો ન હતો, પરંતુ કહેવત છે ને પાપ છાપરે ચડીને પોકારી ઊઠે, એજ રીતે મોહિનીને મોહનનું અફેર ચાલતું હોવાની જાણ થઈ ગઈ હતી.
મોહિનીને મોહનના અફેરની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. તેમ છતાં મોહન પોતાના અવૈધ સંબંધો તોડવા તૈયાર ન હતો. ત્યારે એક મહિના પહેલાં દંપતી વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ હતી, જેને પગલે મોહિની ચાર સંતાનોને લઈને રિસાઈને પિયર રહેવા જતી રહી હતી, પરંતુ મહિના સુધી અક્ષયે મોહિની કે સંતાનોને પરત લાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા. મોહિની સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પરત ઘરે ફરી હતી. મોહિની સાસરે આવીને જેવો ઘરનો દરવાજો ખખડાવ્યો કે મોહનને જેની સાથે અફેર ચાલતું હતું તે માયા (નામ બદલ્યું છે)એ દરવાજો ખોલ્યો હતો.
આ જોઈમોહિનીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કેમ કે મોહન એક મહિનાની અંદર જ માયા સાથે લગ્ન કરી લઈ નવો ઘરસંસાર માંડી લીધો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. આખરે રેખાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને મદદે બોલાવી લીધી હતી.