
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 52 કરોડના ખર્ચે નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે પીપીપી ધોરણે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાયું છે. અહીં ફાયરબ્રિગેડનાં સાધનોના જરૂરી રિપેરિંગ અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રેક્ટ જે. કે. એસોસિયેટને આપવામાં આવ્યો હતો. સોમવારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા 10 લાખનો કોન્ટ્રેક્ટ આપવાની મંજૂરી આપી છે. મ્યુનિસિપલ કમિશનર સહિત પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોના માનીતા એવા આ કોન્ટ્રેક્ટરે લેવલ પાર્કિંગમાં કામગીરી કરી છે કે નહીં એ જોયા વિના જ કામ મંજૂર કર્યું છે.
સ્ટિકર ચોંટાડતાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી તપાસ કરશે
દિવ્ય ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ કોન્ટ્રેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ત્યાં ફાયર ફાઈટિંગનાં સાધનોને ચેક કરવાની જગ્યાએ ફાયર એક્સટિંગ્વિશર પર ખાલી વેલિડિટી જેની પૂરી ગઈ હતી એના પર નવી તારીખ લખીને એક વર્ષ માટે વેલિડિટી વધારી હોવાનું સ્ટિકર મારી દીધું છે. ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરે આ કામ મૂક્યું છે. કંપની દ્વારા વેલિડિટી પતી ગયા બાદ અને દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટ બાદ તેમણે માત્ર સ્ટિકર જ ચોંટાડી દીધા છે કે કેમ એ અંગે હું તપાસ કરી લઉં છું.
ફાયર એક્સટિંગ્વિશરની ફિલઅપ વેલિડિટી પૂરી થઈ ગઈ હતી
નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે ફાયરનાં સાધનો આવેલાં છે એ ધૂળ ખાતા નજરે જોવા મળ્યાં હતાં, એમાં ક્યાંય પણ મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય કે દર મહિને કે ત્રણ મહિને એનું ચેકિંગ કરવામાં આવતું હોય એવું જણાયું ન હતું. ફાયર એક્સટિંગ્વિશરમાં જે એક વર્ષની ફિલઅપ વેલિડિટી પણ પૂરી થઈ ગઈ હતી.
સોમવારે જ કોન્ટ્રેક્ટરને ફરી મંજૂરી અપાઈ
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં સોમવારે કોન્ટ્રેક્ટર જેકે એસોસિયેટને ફરીથી રૂ. 10 લાખનો કોન્ટ્રેક્ટ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન અને પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યા સહિતના અધિકારીઓએ ત્યાં આ કંપનીએ ફાયરનાં સાધનોનું મેઇન્ટેનન્સ કર્યું છે કે કેમ એની વેલિડિટી પૂરી ક્યારે થઈ છે કે તેણે કામગીરી કરી છે એ જોયા વિના જ કામ મૂકી દીધું હતું. એ બાદ ભાજપના ચેરમેન મહાદેવ દેસાઈએ એને મંજૂર પણ કરી દીધું છે.
ફાયર એક્સટિંગ્વિશરની તપાસ વગર જ સ્ટિકર ચીપકાવી દેવાયાં
દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ફાયરબ્રિગેડનાં સાધનોમાં જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે એમાં વેલિડિટી 12 ડિસેમ્બર 2022ના રોજ થઈ ગયેલી હતી અને તેના બે મહિના પર થઈ ગયા બાદ પણ તેને ફરીથી તપાસ કરવામાં આવી ન હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે 27 ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2024 સુધીનું વેલિડિટી વધારતું જેકે એસોસિયેટનું સ્ટિકર મારી દેવામાં આવ્યું છે. ફાયર એક્સટિંગ્વિશરને ચેક પણ કરવામાં આવ્યાં નથી કે એમાં જે પાઉડર છે એ ચાલે એવો છે કે કેમ એ તપાસવું જોઈએ, એ પણ ચેક કરવામાં આવ્યું નથી. ખાલી વેલિડિટી વધારતાં તેઓ દ્વારા સ્ટિકર જ મારી દેવામાં આવ્યાં છે. આમ, ફાયરનાં સાધનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સના નામે પોલંપોલ ચલાવવામાં આવી રહી હોય એવું જણાય છે.
દિવ્યભાસ્કરે મલ્ટીલેવલ પાર્કિંગની કથળેલી સ્થિતિ બતાવી
નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બિલ્ડિંગની છતના ભાગ તૂટેલા છે અને વાયરો લટકેલી હાલતમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ ત્યાં કાર્યરત જ નથી. મલ્ટીલેવલ પાર્કિગમાં ત્રીજા માળે ઓફિસો આવેલી છે, એમાં લોબીમાં તપાસ કરી ત્યારે છત તૂટેલી હાલતમાં છે. વાયરો જે લગાવવામાં આવ્યા છે, એ લટકેલા હતા. ફાયર સેફટી માટે ફાયર ફાઈટિંગનાં સાધનો લગાવેલાં છે, એની તપાસ કરતાં તે સાધનો કાર્યરત ન હોવાનું જણાયું હતું. રિપેરિંગ અને મેઇન્ટેનન્સ માટે જે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ ત્યાં ફાયરનાં સાધનોનું કોઈપણ પ્રકારનું મેઇન્ટેનન્સ જ ન થતું હોવાનું સામે આવ્યું છે. ફાયર એક્સટિંગ્વિશર પર એક વર્ષની વેલિડિટી જે હોય છે એ પણ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઈ ગયેલી જોવા મળી હતી. પાર્કિંગની જગ્યા પર જે ફાયરબ્રિગેડનાં સાધનો લગાવેલાં છે એ પણ કટાયેલાં હતાં અને એના ઉપર ધૂળ લાગેલી જોવા મળી હતી.
ફાયરનાં સાધનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સના નામે પોલંપોલ
ફાયરબ્રિગેડનાં સાધનોમાં જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે એમાં વેલિડિટી 12 ડિસેમ્બર 2022ના રોજ પૂરી થઈ ગયેલી હતી અને એના બે મહિના પર થઈ ગયા બાદ પણ એને ફરીથી તપાસ કરવામાં આવી ન હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે 27 ફેબ્રુઆરી 2023થી 28 ફેબ્રુઆરી 2024 સુધીનું વેલિડિટી વધારતું જેકે એસોસિયેટનું સ્ટિકર મારી દેવામાં આવ્યું છે. ફાયર એક્સટિંગ્વિશરને ચેક પણ કરવામાં આવ્યાં નથી કે એમાં જે નાઇટ્રોજન ગેસ હોય કે CO2 ગેસ છે એ ભરેલો છે કે કેમ? એ તપાસવું જોઈએ… એ પણ ચેક કરવામાં આવ્યું નથી. ખાલી વેલિડિટી વધારી દીધી હોવાના તેઓ દ્વારા સ્ટિકર જ મારી દેવામાં આવ્યાં છે. આમ, ફાયરનાં સાધનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સના નામે પોલંપોલ ચલાવવામાં આવી રહી હોય એવું જણાય છે.
સીસીટીવી કંટ્રોલ રૂમ બંધ હાલતમાં
નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં અલગથી ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમ અને સીસીટીવી કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે, પરંતુ એના પર તાળાં લાગેલા જોવા મળ્યાં હતાં. મલ્ટીલેવલ પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સીસીટીવી કેમેરા ખરેખર કાર્યરત છે કે કેમ એના પર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણકે જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે જે બંધ હાલતમાં હતો અને ત્યાં મોનિટરિંગ માટે મૂકવામાં આવેલા બે ટીવી પણ ચાલુ હતાં, જોકે એમાં સીસીટીવી ચાલુ હોય એવું ક્યાંય દેખાતું નહોતું. તો બીજી તરફ એવા કેમેરા પણ ત્યાં બંધ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા.
2017માં 52 કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિગ બનાવાયું
રૂ.52 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ બનાવવામાં આવ્યું હતું .વર્ષ 2017માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ મલ્ટીલેવલ પાર્કિંગનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવરંગપુરામાં બનેલા આ મલ્ટીલેવલ પાર્કિગ 361 ફોર-વ્હીલ અને 700 ટૂ-વ્હીલરની ક્ષમતા ધરાવે છે, જેમાં 100થી વધુ ઓફિસો અને દુકાનો પણ આવેલી છે, જેમાં મોટા ભાગની બંધ હાલતમાં છે તો કેટલીક સરકારી વિભાગોને ફાળવવામાં આવી છે. કોર્પોરેશનનો નિષ્ફળ પ્રોજેક્ટ એવા મલ્ટીલેવલ પાર્કિંગ પર કોઈપણ પ્રકારનું ધ્યાન કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું નથી. ભાજપના સત્તાધીશો પણ આ બાબતે ખૂબ જ નિષ્ક્રિય છે.