
આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લાના ઇરલા મંડળ નામની જગ્યાએ ગણેશજીનું મંદિર છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. લોકોની માન્યતાઓ પ્રમાણે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ધીમે-ધીમે આકારમાં વધતી જઇ રહી છે. એવું કહેવામાં આવે છે કે બાહુદા નદીની વચ્ચે બનેલાં આ મંદિરના પવિત્ર જળના કારણે અનેક બીમારીઓ દૂર થાય છે. તિરૂપતિ જતાં પહેલાં ભક્ત આ વિનાયક મંદિરમાં આવીને ભગવાન ગણેશના દર્શન કરે છે. માન્યતા પ્રમાણે અહીં આવતાં ભક્તોના કષ્ટ દૂર થઇ જાય છે.
આ મંદિર 11મી સદીમાં બનેલું છે
આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું. ત્યાર બાદ ફરી વિજયનગર વંશના રાજાએ વ
ર્ષ 1336માં આ મંદિરનું સમારકામ કરાવીને તેને મોટું મંદિર બનાવવાનું કામ કર્યું. આ તીર્થ એક નદીના કિનારે આવેલું છે. જેથી તેને કનિપક્કમ નામ આપવામાં આવ્યું હતું.
બ્રહ્મોત્સવ ગણેશ ચોથથી 20 દિવસ સુધી ઊજવવામાં આવે છે
આ મંદિરમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવતી ગણેશ ચોથથી બ્રહ્મોત્સવ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે એકવાર સ્વયં બ્રહ્મદેવ પૃથ્વી ઉપર આવ્યાં હતાં અને ત્યારથી આ મંદિરમાં 20 દિવસનો બ્રહ્મોત્સવ ઊજવવામાં આવે છે. બ્રહ્મોત્સવ દરમિયાન અહીં ભક્તોની વચ્ચે રથયાત્રા કાઢવામાં આવે છે. આ તહેવાર દરમિયાન બીજા દિવસે જ રથયાત્રા સવારે એકવાર અને સાંજે એકવાર કાઢવામાં આવે છે. રથયાત્રામાં દરરોજ ભગવાન ગણેશ વિવિધ વાહન ઉપર ભક્તોને દર્શન આપે છે. રથને અનેક પ્રકારના રંગીન કપડાથી સજાવવામાં આવે છે. આ પ્રકારનો ઉત્સવ ખૂબ જ ઓછા મંદિરોમાં ઊજવાય છે.
રોજ ભગવાન ગણેશજીની મૂર્તિ વધે છે
કહેવાય છે કે આ મંદિરમાં રહેલી ગણેશજીની મૂર્તિનો આકાર દરરોજ વધતો જઇ રહ્યો છે. આ વાતનું પ્રમાણ તેમના પેટ અને ઘૂટણ છે, જે મોટો આકાર ધારણ કરતાં જઇ રહ્યાં છે. કહેવાય છે કે લગભગ 50 વર્ષ પહેલાં ભગવાન ગણેશની એક ભક્ત શ્રી લક્ષ્મામ્માએ તેમને એક કવચ ભેટ કર્યું હતું, પરંતુ મૂર્તિનો આકાર વધવાના કારણે હવે તે કવચ ભગવાનને પહેરાવવામાં આવતું નથી.
માન્યતાઃ મંદિરની વાર્તા
મંદિરના નિર્માણની વાર્તા રોચક છે. કહેવાય છે કે ત્રણ ભાઈ હતાં. તેમાંથી એક ગૂંગો, બીજો બહેરો અને ત્રીજો આંધળો હતો. ત્રણેયે મળીને જમીનનો એક નાનો ભાગ ખરીદ્યો. જમીન ઉપર ખેતી માટે પાણીની જરૂરિયાત હતી. એટલે, ત્રણેય એક જગ્યાએ કુવો ખોદવાનું શરૂ કર્યું.
થોડું ખોદકામ કર્યા બાદ પાણી બહાર આવ્યું. ત્યાર બાદ થોડું વધારે ખોદકામ કર્યું ત્યારે તેમને ગણેશજીની પ્રતિમા જોવા મળી, જેમના દર્શન કરતાં જ ત્રણેય ભાઇ જેઓ ગૂગાં, બહેરા અને આંધળા હતાં તેઓ એકદમ ઠીક થઇ ગયાં. આ એક ચમત્કાર જોવા માટે તે ગામમાં રહેતાં લોકો ભેગા થવા લાગ્યાં. ત્યાર બાદ બધા લોકોએ ત્યાં પ્રકટ થયેલી ભગવાન ગણેશજીની મૂર્તિને ત્યાં જ પાણી વચ્ચે સ્થાપિત કરી દીધી.
દર્શન કરવા માત્રથી પાપ નષ્ટ થઇ જાય છે
કહેવાય છે કે, કોઇ વ્યક્તિ કેટલોય પાપી કેમ ના હોય તે કનિપક્કમ ગણેશજીના દર્શન કરી લે તો તેના બધા જ પાપ દૂર થઇ જાય છે. આ મંદિરમાં દર્શન સાથે જોડાયેલો એક નિયમ છે. માન્યતા પ્રમાણે આ નિયમનું પાલન કરવાથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે. નિયમ એવો છે.
કે જે પણ વ્યક્તિએ પોતાના પાપની માફી માંગવી હોય. તેમણે અહીં સ્થિત નદીમાં સ્નાન કરી આ પ્રણ લેવાનું રહેશે કે તે ફરી ક્યારેય તેવા પાપ કરશે નહીં, જેના માટે તે માફી માંગવા આવ્યો છે. આવું પ્રણ લીધા બાદ ગણેશજીના દર્શન કરવાથી બધા જ પાપ દૂર થઇ જાય છે.
અહીં કેવી રીતે પહોંચવું
સડક માર્ગથી- આ મંદિર તિરૂપતિ બસ સ્ટેશનથી લગભગ 72 કિમી દૂર છે. અહીંથી બસ અને કેબ બંને મળી શકે છે.
ટ્રેન માર્ગ- આ મંદિર તિરૂપતિ રેલવે સ્ટેશનથી લગભગ 70 કિમી દૂર છે.
હવાઈ માર્ગ- તિરૂપતિ એરપોર્ટ આ મંદિરથી માત્ર 86 કિમી દૂર છે.