
જગતનો તાત કાળજાળ ગરમીમાં સેકાઈને હવે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત પૂર્વે જ ખેડૂતો માટે એક મહત્વના ખુશીના સમાચાર આવ્યાં છે. સરકારે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને લીલીઝંડી આપી છે.
મીડિયા અહેવાલ અનુસાર મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુસર ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. બુધવારે આયોજિત કેન્દ્ર સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)ની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP વધારવનો સરકારે નિર્ણય કર્યો છે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો અંગે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે.
MSPમાં કેટલો વધારો થશે ?
સૂત્રોએ આપેલ માહિતી અનુસાર વર્ષ 2022-23 માટે ખરીફ પાકની MSP 5થી 20% વધી શકે છે. કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર, સોયાબીનના MSPમાં વધારો થશે. આ સાથે કેબિનેટે મકાઈની MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
MSPમાં સૌથી મોટો વધારો :
2018-19 સીઝન બાદ આ વખતે MSP સૌથી વધુ વધે તેવી શક્યતા છે. ડાંગર, સોયાબીન અને મકાઈ ઉપરાંત મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવશે. આ સિઝનમાં કુલ 14 પાકોની MSP વધારવામાં આવશે. એવી પણ ચર્ચા છે કે સરકાર કઠોળ અને તેલીબિયાંના પાકોમાં મહત્તમ વધારો કરી શકે છે.
MSP શું છે ?
MSP એટલેકે લઘુત્તમ ટેકાના ભાવ. અનાજ-કઠોળ કે અન્ય ખાદ્યાન્નની લઘુત્તમ કિંમત એટલેકે જે ભાવે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે અથવા તો ખેડૂતોને તેમના પાક માટે સરકાર દ્વારા ઓફર કરાતી ન્યૂનતમ કિંમત એટલે MSP. પાકની એમએસપી નક્કી કરવાનો મુખ્ય હેતુ ખેડૂતોને કોઈપણ લઘુત્તમ ટેકાનો ભાવ આપવાનો છે